અમૂલ્ય તત્ત્વવિચાર | Amulya Tattva Vichar

(હરિગીત છંદ)

બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો,
તોયે અરે ! ભવચક્રનો આંટો નહીં એક્કે ટળ્યો;
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષ્યે લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો? ૧

લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ?
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો;
વધવાપણું સંસારનું નર દેહને હારી જવો,
એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!! ૨

નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે,
એ દિવ્ય શક્તિમાન, જેથી જંજીરેથી નીકળે;
પર વસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી,
એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતદુઃખ તે સુખ નહીં. ૩

હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?
કોના સંબંધે વર્ગણા છે ? રાખું કે એ પરિહરું ?
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા,
તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત તત્વ અનુભવ્યા ૪

તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ?
નિર્દોષ નરનું કથન માનો ‘તેહ’ જેણે અનુભવ્યું;
રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીઘ્ર એને ઓળખો,
સર્વાત્મા માં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. ૫

Artist : શ્રીમદ્દ રાજચંદ્ર

3 Likes