જડ ને ચૈતન્ય બન્ને | Jad Ne Chaitanya Banne | Shrimad Rajchandraji

જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન,
સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે;
સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર,
અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાંય છે;
એવો અનુભવનો પ્રકાશ ઉલ્લસિત થયો,
જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે:
કાયાની વિસરી માયા સ્વરૂપે સમય એવા,
નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે. ૧
દેહ જીવ એકરૂપ ભાસે છે અજ્ઞાન વડે,
ક્રિયા ની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે;
જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ,
દેહનો સ્વભાવ જીવપદ માં જણાય છે;
એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ,
જ્ઞાનીનાં વચન વડે દૂર થઇ જાય છે;
ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન,
બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ૨

Artist : શ્રીમદ્દ રાજચંદ્રજી

2 Likes