અપૂર્વ અવસર | Apoorva Avasar

અપૂર્વ અવસર

અપૂર્વ અવસર એવો ક્યારે આવશે,
ક્યારે થઈશું બાહ્યાન્તર નિર્ગ્રન્થ જો;
સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને,
વિચરશું કવ મહત્પુરુષને પંથ જો ? અપૂર્વ● ૧

સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી,
માત્ર દેહ તે સંયમહેતુ હોય જો;
અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં,
દેહ પણ કિંચિત મૂર્છા નવ જોય જો. અપૂર્વ● ૨

દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે,
દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો;
તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે,
વર્તે એવું શુદ્ધસ્વરૂપનુ ધ્યાન જો. અપૂર્વ● 3

આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની,
મુખ્યપણે તો વર્તે દેહપર્યંત જો;
ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી,
આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો અપૂર્વ● ૪

સંયમના હેતુથી યોગપ્રવર્તના,
સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો;
તે પણ ક્ષણ ક્ષણ ધટતી જાતી સ્થિતિમાં,
અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ● ૫

પંચ વિષયમાં રાગદ્ધેષ વિરહિતતા,
પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો;
દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ,
વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો. અપૂર્વ● ૬

ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા,
માન પ્રત્યે તો દીનપણાનું માન જો;
માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની,
લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અપૂર્વ● ૭

બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં,
વંદે ચક્રી તથાપિ ન મળે માન જો;
દેહ જાય પણ માયા થાય ન રોમમાં,
લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ● ૮

નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા,
અદંતધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો,
કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં;
દ્રવ્યભાવ સંયમમય નિર્ગ્રંથ સિદ્ધ જો. અપૂર્વ● ૯

શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા,
માન અમાને વર્તે તે જ સ્વભાવ જો;
જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા,
ભવ મોક્ષ પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વ● ૧૦

એકાકી વિચરતો વળી સ્મશાનમાં,
વળી પર્વતમાં વાધ સિંહ સંયોગ જો;
અડોલ આસન, ને મનમાં નહીં ક્ષોભતા,
પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અપૂર્વ● ૧૧

ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં,
સરસ અન્ને નહીં મનને પ્રસન્નભાવ જો;
રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની,
સર્વે માન્યાં પુદ્દગલ એક સ્વભાવ જો. અપૂર્વ● ૧૨

એમ પરાજય કરીને ચારિત્રમોહનો,
આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો;
શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા,
અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો. અપૂર્વ● ૧૩

મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી,
સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો;
અંત સમય ત્યાં પૂર્ણસ્વરૂપ વીતરાગ થઈ,
પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો. અપૂર્વ● ૧૪

ચાર કર્મ ધનધાતી તે વ્યવચ્છેદ જ્યાં,
ભવનાં બીજતણો આત્યંતિક નાશ જો;
સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા,
કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. અપૂર્વ● ૧૫

વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં,
બળી સીંદરીવત્ આક્રુતિ માત્ર જો;
તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે,
આયુષ પૂર્ણે, મટિયે દૈહિક પાત્ર જો. અપૂર્વ● ૧૬

મન, વચન, કાયા ને કર્મની વર્ગણા,
છૂટે જહાં સકળ પુદ્દગલ સંબંધ જો;
એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું,
મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. અપૂર્વ● ૧૭

એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા,
પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો;
શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય,
અગુરૂલઘુ, અમૂર્ત્ત સહજપદરૂપ જો. અપૂર્વ● ૧૮

પૂર્વપ્રયોગાદિ કારણના યોગથી,
ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો;
સાદિ અનંત અનંત સમાધિસુખમાં,
અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ● ૧૯

જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો;
તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ● ૨૦

એહ પરમપદ પ્રપ્તિનું કર્યું ધ્યાન મેં,
ગજા વગર ને હાલ મનોરથરૂપ જો;
તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો,
પ્રભુઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ● ૨૧

Artist : શ્રીમદ્દ રાજચંદ્ર

9 Likes